હરતાલિકા તીજની વ્રત કથા
માન્યતા છે કે ભગવાન શિવે માતા પાર્વતીને તેમના પૂર્વ જન્મ વિશે યાદ અપાવવા માટે આ કથા સંભળાવી હતી, જે કંઈક આ પ્રમાણે છે. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે.
હે પાર્વતી! તમે મને વર તરીકે મેળવવા માટે ઘોર તપસ્યા કરી હતી. તમે અન્ન-જળનો ત્યાગ કરીને સૂકા પાંદડાં ખાધાં, ઠંડીમાં તમે સતત પાણીમાં રહીને તપસ્યા કરી. વૈશાખની ગરમીમાં પંચાગ્નિ અને સૂર્યના તાપથી પોતાને તપાવ્યા. શ્રાવણની મૂશળધાર વરસાદમાં તમે અન્ન-જળ વિના, ખુલ્લા આકાશ નીચે દિવસો વિતાવ્યા. તમારી આ ઘોર કષ્ટવાળી તપસ્યાથી તમારા પિતા ગિરિરાજ ઘણા દુઃખી અને ખૂબ નારાજ હતા. તમારી આટલી ઘોર તપસ્યા અને તમારા પિતાની નારાજગી જોઈને એક દિવસ નારદજી તમારા ઘરે આવ્યા.
તમારા પિતા ગિરિરાજે જ્યારે તેમના આવવાનું કારણ જાણવા માગ્યું તો નારદજી બોલ્યા, ‘હે ગિરિરાજ! હું ભગવાન વિષ્ણુજીના કહેવાથી અહીં આવ્યો છું. તમારી પુત્રીની ઘોર તપસ્યાથી ખુશ થઈને ભગવાન વિષ્ણુને તેમની સાથે વિવાહ કરવાની ઈચ્છા છે. આ વિશે હું તમારી સહમતિ જાણવા માગું છું.’ નારદ મુનિની વાત સાંભળીને તમારા પિતા અત્યંત ખુશ થઈને બોલ્યા, ‘શ્રીમાન, જો સ્વયં વિષ્ણુ ભગવાન મારી પુત્રી સાથે વિવાહ કરવા માગતા હોય તો મને કોઈ વાંધો નથી. ભગવાન વિષ્ણુ તો સાક્ષાત બ્રહ્મનું રૂપ છે. આ તો દરેક પિતા ઇચ્છે છે કે તેની પુત્રી સુખી રહે અને પોતાના પતિના ઘરમાં લક્ષ્મીનું રૂપ બને.
તમારા પિતા દ્વારા સ્વીકૃતિ પામીને નારદજી વિષ્ણુજી પાસે પહોંચ્યા અને તેમને વિવાહ નક્કી થવાના સમાચાર આપ્યા. આ દરમિયાન જ્યારે તમને આ વાતની જાણકારી મળી તો તમે ખૂબ દુઃખી થઈ ગયા. તમને દુઃખી જોઈને તમારી સહેલીએ તમારી દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તમે કહ્યું, ‘હું સાચા મનથી ભગવાન શિવને જ પોતાના પતિ માની ચૂકી છું, પરંતુ મારા પિતાજીએ વિષ્ણુજી સાથે મારા વિવાહ નક્કી કરી દીધા છે. હું એટલી ધર્મસંકટમાં છું કે મારી પાસે જીવ આપવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.’ તમારી સહેલીએ તમને હિંમત આપતાં કહ્યું કે, ‘સંકટ સમયે ધીરજ રાખવાની જરૂર હોય છે. તમે મારી સાથે ગાઢ જંગલમાં ચાલો, જ્યાં સાધના પણ કરવામાં આવે છે. ત્યાં તમને તમારા પિતા શોધી નહીં શકે. મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન તમારી મદદ જરૂર કરશે.’
તમે તમારી સહેલીની વાત સાંભળીને એમ જ કર્યું. તમારા ઘરથી આમ ચાલ્યા જવાથી તમારા પિતા ખૂબ દુઃખી અને ચિંતિત થયા. તે દરમિયાન તેઓ વિચારવા લાગ્યા કે મેં મારી પુત્રીના વિવાહ વિષ્ણુજી સાથે નક્કી કરી દીધા છે. જો ભગવાન વિષ્ણુ જાન લઈને આવે અને પુત્રી અહીં ન મળે તો ખૂબ અપમાન સહન કરવું પડશે. તમારા પિતાએ તમને ચારે બાજુ શોધવાનું શરૂ કરી દીધું. બીજી તરફ તમે નદી કિનારે એક ગુફામાં પૂરા મનથી મારી આરાધનામાં ડૂબી ગયા. પછી તમે રેતીથી એક શિવલિંગ બનાવ્યું. રાતભર તમે મારી સ્તુતિમાં ભજન જાગરણ કર્યું. તમે અન્ન-જળ ગ્રહણ કર્યા વિના મારું ધ્યાન કર્યું, તમારી આ કઠોર તપસ્યાથી મારું આસન હલી ગયું અને હું તમારી પાસે પહોંચ્યો.
મેં તમને તમારી ઈચ્છાનું કોઈ વરદાન માગવા કહ્યું, ત્યારે તમે મને તમારી સામે જોઈને કહ્યું કે, “હું તમને સાચા મનથી મારા પતિ માની ચૂકી છું. જો તમે ખરેખર મારી આ તપસ્યાથી ખુશ થઈને મારી સામે આવ્યા હો, તો મને તમારી પત્નીના રૂપમાં અપનાવી લો.’ હું તમારી વાત સાંભળીને ‘તથાસ્તુ’ કહીને કૈલાશ તરફ ચાલ્યો ગયો. તમે સવાર થતાં જ પૂજાની બધી સામગ્રી નદીમાં પ્રવાહિત કરીને પોતાની સખી સાથે વ્રતનું વરણ કર્યું.
એ જ સમયે તમારા પિતા ગિરિરાજ તમને શોધતા ત્યાં પહોંચ્યા. તમારી હાલત જોઈને તમારા પિતા દુઃખી થઈને તમારી આ કઠિન તપસ્યાનું કારણ પૂછ્યું. તમે તમારા પિતાને સમજાવતાં કહ્યું, ‘પિતાજી, મેં જીવનનો મોટા ભાગનો સમય કઠિન તપસ્યા કરીને વિતાવ્યો છે. મારી આ કઠોર તપસ્યાનો એક જ ઉદ્દેશ્ય હતો, શિવજીને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા. હું આજે મારી તપસ્યાની પરીક્ષામાં ખરી ઊતરી છું. આપે વિષ્ણુજી સાથે મારા વિવાહ કરવાનું નક્કી કર્યું હતું, તેથી હું આરાધ્યની શોધમાં ઘરથી દૂર થઈ ગઈ. હવે હું ઘરે તમારી સાથે એક જ શરતે ચાલીશ, જ્યારે તમે મહાદેવ સાથે મારાં લગ્ન કરાવવા માટે તૈયાર થશો.’
તમારા પિતાએ તમારી આ ઈચ્છા માની લીધી અને તમને પોતાની સાથે પાછા લઈ ગયા. પછી થોડા સમય પછી તમારા પિતાએ અમારાં વિધિ-વિધાન સાથે લગ્ન કરાવી દીધાં. ભગવાન શિવે આગળ કહ્યું - હે પાર્વતી! તમે ભાદરવા સુદ ત્રીજના દિવસે મારી પૂજા કરીને જે વ્રત કર્યું, એનું જ ફળ છે કે આપણા વિવાહ શક્ય થયા. આ વ્રતનું એ મહત્વ છે કે જે પણ અવિવાહિત કન્યા આ વ્રત કરે છે, તેને ગુણવાન, વિદ્વાન અને ધનવાન વર મેળવવાનું સૌભાગ્ય મળે છે. જ્યારે, વિવાહિત સ્ત્રી જ્યારે આ વ્રતને પૂરી વિધિથી કરે છે, તો સૌભાગ્યવતી બને છે અને પુત્ર તથા ધન સુખ પ્રાપ્ત કરે છે.’
આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે – જો સાચા મન અને મહેનતથી કોઈ વસ્તુની ઈચ્છા કરવામાં આવે તો ઈચ્છા જરૂર પૂરી થાય છે.