કર્ણના જન્મની કહાની Story of Karna's birth
આ વાર્તા એક એવા યોદ્ધાની છે, જેને લોકો દાનવીર કર્ણના નામે ઓળખે છે. કર્ણ પાંડવોમાં સૌથી મોટા હતા અને આ વાતની જાણ માત્ર માતા કુંતીને જ હતી. કર્ણનો જન્મ કુંતીના લગ્ન પહેલાં જ થઈ ગયો હતો. તેથી, લોકલાજના ડરથી કુંતીએ કર્ણને છોડી
દીધા હતા, પરંતુ કર્ણનો જન્મ કુંતીના લગ્ન પહેલાં કેવી રીતે થયો, તેની પાછળ પણ એક કહાની છે. વાત તે સમયની છે જ્યારે કુંતીના લગ્ન થયા ન હતા અને તેઓ માત્ર રાજકુમારી હતા. તે દરમિયાન ઋષિ દુર્વાસા પૂરા એક વર્ષ માટે રાજકુમારી કુંતીના પિતાના
મહેલમાં અતિથિ તરીકે રોકાયા. કુંતીએ એક વર્ષ સુધી તેમની ખૂબ સેવા કરી. રાજકુમારીની સેવાથી ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈ ગયા અને તેમણે કુંતીને વરદાન આપ્યું કે તે કોઈપણ દેવતાને બોલાવીને તેમનાથી સંતાન પ્રાપ્ત કરી શકે છે.
એક દિવસ કુંતીના મનમાં આવ્યું કે શા માટે વરદાનની પરીક્ષા ન કરવી જોઈએ. એવું વિચારીને તેમણે સૂર્ય દેવની પ્રાર્થના કરીને તેમને બોલાવ્યા. સૂર્ય દેવના આવવાથી અને વરદાનના પ્રભાવથી કુંતી લગ્ન પહેલાં જ ગર્ભવતી થઈ ગયાં. થોડા સમય પછી તેમણે એક પુત્રને જન્મ આપ્યો,
જે સૂર્ય દેવ જેટલો જ પ્રભાવશાળી હતો. સાથે જ જન્મ સમયે જ તે બાળકના શરીર પર કવચ અને કુંડળ હતા. કુંવારી અવસ્થામાં પુત્રની પ્રાપ્તિ થવાને કારણે લોકલાજના ડરથી કુંતીએ તેને એક પેટીમાં બંધ કરીને નદીમાં વહાવી દીધો. પેટી એક સારથી અને
તેની પત્નીને મળી, જેમને કોઈ સંતાન ન હતું. તે બંને કર્ણના રૂપમાં પુત્રને પામીને ખૂબ જ ખુશ થયા અને તેનું લાલન પાલન કરવા લાગ્યા. આ જ સૂર્ય પુત્ર આગળ જઈને દાનવીર કર્ણ કહેવાયા અને ઘણા વર્ષો પછી કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંચ પાંડવોની સામે તે એક
શક્તિશાળી યોદ્ધાના રૂપમાં ઊભા રહ્યા.
```