શેર બજારમાં મોટો ઘટાડો: ટ્રમ્પના ટેરિફથી વૈશ્વિક અનિશ્ચિતતા વધી

આજે શેર બજારમાં મોટો ઘટાડો નોંધાયો. સેન્સેક્સ-નિફ્ટી ૧% કરતાં વધુ ઘટ્યા. ટ્રમ્પના ટેરિફ વોરથી વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી, નિષ્ણાતો અન્ય દેશોના ટેરિફ વધારવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

Share Market Crash Today: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ નિર્ણયના કારણે ભારતીય શેર બજાર પર પણ ગંભીર અસર પડી છે. મંગળવારે ઘરેલુ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને ક્રેશ થઈ ગયા. બપોરે ૨ વાગ્યા સુધીમાં સેન્સેક્સ ૧.૩૩% ઘટીને ૭૬,૨૮૪.૩૬ પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૧.૩૮% ના ઘટાડા સાથે ૨૩,૦૫૯.૨૫ પોઇન્ટ પર પહોંચી ગયો હતો.

ભારતીય સ્ટીલ સંઘ (ISA) ની ચિંતા

ભારતીય સ્ટીલ સંઘ (ISA) એ અમેરિકા દ્વારા સ્ટીલ આયાત પર ટેરિફ વધારવાના નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંઘે ભારત સરકારને અપીલ કરી છે કે તે લાંબા સમયથી લાગુ એન્ટી-ડમ્પિંગ અને કાઉન્ટરવેલિંગ ડ્યુટી દૂર કરવા માટે દખલ કરે. આ નિર્ણયથી અમેરિકાને ભારતીય સ્ટીલ નિકાસમાં ૮૫% ઘટાડો થવાની સંભાવના છે.

ભારતીય બજાર પર સંભવિત અસર

નિષ્ણાતોના મતે, નવા ટેરિફના કારણે વૈશ્વિક બજારમાં સ્ટીલનું સરપ્લસ થઈ શકે છે, જેના કારણે ભારતીય બજારમાં ભાવ પર દબાણ વધી શકે છે. આ નિર્ણય પછી અયશર મોટર્સ અને અપોલો હોસ્પિટલ્સ જેવી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો. નિફ્ટી પર નિફ્ટી રિયાલ્ટી અને નિફ્ટી ઓટો સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયા. આ ઉપરાંત, નિફ્ટી મીડિયા અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં પણ ઘટાડો નોંધાયો.

ટેકનિકલ વિશ્લેષણ: મંદીના સંકેતો

ટેકનિકલ ચાર્ટ પર નજર કરીએ તો નિફ્ટીએ એક મંદીની કેન્ડલસ્ટિક બનાવી છે, જે બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ દર્શાવે છે. ઇન્ડેક્સ ૨૩,૪૬૦ ના સ્તર પર મહત્વપૂર્ણ પ્રતિકારનો સામનો કરી રહ્યો છે. જો આ સ્તર પાર નહીં થાય, તો બજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જોકે, જો નિફ્ટી ૨૩,૪૬૦ થી ઉપર જાય, તો તે ૨૩,૫૫૦ અને ૨૩,૭૦૦ ના સ્તર સુધી પહોંચી શકે છે.

વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજાર પર દબાણ

વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી પણ ભારતીય શેર બજારમાં ઘટાડાનું એક મોટું કારણ બની રહ્યું છે. ૧૦ ફેબ્રુઆરીના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) એ રૂ. ૨,૪૬૩ કરોડના શેર વેચ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો (DII) એ રૂ. ૧,૫૧૫ કરોડની ખરીદી કરી હતી.

નિષ્ણાતોની સલાહ: સાવચેતી રાખો

ચોઇસ બ્રોકિંગના સિનિયર એનાલિસ્ટ આકાશ શાહના મતે, "બજારની દિશા પર વિદેશી રોકાણકારોની વેચવાલીનો મોટો પ્રભાવ પડશે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવી પોઝિશન લેવા પહેલા બજારમાં વેલ્યુએશન કરેક્શનની રાહ જુએ."

Leave a comment