IPL 2025નો રોમાંચ ચરમસીમાએ છે અને રવિવારે ધર્મશાલામાં રમાયેલા 54મા મુકાબલામાં પંજાબ કિંગ્સે પ્રભસિમરન સિંહની વિસ્ફોટક બેટિંગ અને અર્શદીપ સિંહની સચોટ બોલિંગના દમ પર લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવીને પોઇન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું.
PBKS vs LSG: ટોસ ગુમાવીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. પ્રભસિમરન સિંહે ધમાકેદાર 91 રનની ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે 45 રનનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો. બંનેની શાનદાર ઇનિંગ્સ બદલ પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 236 રનનો વિશાળ સ્કોર કર્યો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમે પૂરી કોશિશ કરી, પરંતુ તેઓ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 199 રન જ બનાવી શકી અને 37 રનથી મેચ હારી ગઈ.
પ્રભસિમરનનું બેટ ગર્જ્યું
ટોસ ગુમાવીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત જોકે ખરાબ રહી. પહેલા જ ઓવરમાં આકાશ સિંહે પ્રિયાંશ આર્યને પેવેલિયન મોકલી દીધો, પરંતુ ત્યારબાદ પ્રભસિમરન સિંહે મેદાન પર કાળો કહેર વર્તાવ્યો. તેણે 48 બોલમાં 91 રનની ઇનિંગ રમી જેમાં છ ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રભસિમરને દરેક દિશામાં શોટ્સ માર્યા અને લખનઉના બોલર્સને એક પણ તક આપી નહીં.
જોશ ઇંગ્લિશે પ્રભસિમરન સાથે બીજી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. ઇંગ્લિશે પણ 30 રનની ઝડપી ઇનિંગ રમી, જેમાં તેણે એક ચોગ્ગો અને ચાર છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની જોડીએ ત્રીજી વિકેટ માટે 78 રન ઉમેરીને સ્કોરને વેગ આપ્યો. અય્યરે 25 બોલમાં 45 રન બનાવ્યા.
અંતે નેહલ વઢેરા (16), શશાંક (33 નાબાદ) અને માર્કસ સ્ટોઇનિસ (15 નાબાદ) એ મળીને સ્કોરને 236 સુધી પહોંચાડ્યો. આ પંજાબ કિંગ્સનો IPL ઇતિહાસમાં ચોથો સૌથી મોટો સ્કોર છે, અને ધર્મશાલાના મેદાન પર આ સ્કોર 2011 પછી પહેલીવાર 200થી ઉપર પહોંચ્યો છે.
લખનઉની શરૂઆત નિરાશાજનક રહી
237 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. માત્ર 58 રનમાં તેમના ચાર બેટ્સમેન પેવેલિયન પરત ફરી ગયા હતા. એડન માર્કરમ (13), મિચેલ માર્શ (0), નિકોલસ પૂરન (6) અને ઋષભ પંત (18) ટીમને કોઈ ખાસ મદદ કરી શક્યા નહીં. આ કઠિન પરિસ્થિતિમાં આયુષ બડોની અને અબ્દુલ સમદે ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો.
બંનેએ છઠ્ઠી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી. સમદે 24 બોલમાં 45 રન બનાવ્યા જ્યારે બડોનીએ 74 રનની સાહસિક ઇનિંગ રમી. જો કે તેમની આ ઇનિંગ ટીમને જીત અપાવવા માટે પૂરતી સાબિત થઈ નહીં.
પંજાબની બોલિંગમાં અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યા. તેણે ત્રણ વિકેટ ઝડપી અને લખનઉની બેટિંગની કમર તોડી નાખી. અજમતુલ્લાહ ઉમરજાઈએ પણ બે મહત્વના વિકેટ લીધા, જ્યારે માર્કો જેન્સન અને યુઝવેન્દ્ર ચહલને એક-એક સફળતા મળી.
પોઇન્ટ ટેબલમાં પંજાબની લાંબી છલાંગ
આ જીત સાથે પંજાબ કિંગ્સે 11માંથી 7 મેચ જીતીને 15 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. તેમનો નેટ રન રેટ હવે +0.376 છે. જ્યારે લખનઉને આ છઠ્ઠી હાર થઇ અને તેઓ 10 પોઇન્ટ સાથે સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમનો નેટ રન રેટ -0.469 થઈ ગયો છે. RCB 16 પોઇન્ટ સાથે ટોચ પર છે, જ્યારે મુંબઈ અને ગુજરાત 14-14 પોઇન્ટ સાથે ક્રમશઃ ત્રીજા અને ચોથા સ્થાને છે.