ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું લિવર કેન્સરથી અવસાન

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું લિવર કેન્સરથી અવસાન

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ લિવર કેન્સરના ચોથા તબક્કાથી પીડિત હતા અને ગ્રેટર નોઇડાના યથાર્થ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

ખાનચંદ સિંહ લાંબા સમયથી લિવર કેન્સર સામે લડી રહ્યા હતા અને તબિયત બગડતા તેમને ગ્રેટર નોઇડાના યથાર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.

ટી20 વર્લ્ડ કપ દરમિયાન આ સમાચાર સામે આવ્યા છે. પોતાના પિતાના અંતિમ સમયમાં તેમની સાથે રહેવા માટે રિંકુ સિંહે ટીમમાંથી વિરામ લીધો હતો.

જિમ્બાબ્વે સામેની મેચ પહેલા રિંકુ સિંહ ચેન્નાઈથી ગ્રેટર નોઇડા પોતાના પિતાને મળવા પહોંચ્યા હતા. તેમણે તેમના પિતાની સાથે સમય વિતાવ્યો અને ત્યારબાદ ફરી ટીમ ઈન્ડિયા સાથે જોડાયા. જોકે, જિમ્બાબ્વે સામેની મેચમાં તેઓ પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતા. અગાઉ રમાયેલી તમામ પાંચ મેચોમાં તેઓ ભારતીય ટીમની મુખ્ય પ્લેઇંગ ઇલેવનમાં સામેલ રહ્યા હતા. પિતાના નિધન બાદ રિંકુ સિંહે સોશિયલ મીડિયા પર સંદેશ શેર કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

રિંકુ સિંહનું બાળપણ આર્થિક સંકટ વચ્ચે પસાર થયું હતું. તેમના પિતા ખાનચંદ સિંહ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા અને રિંકુ બાળપણમાં તેમને મદદ કરતા હતા. ક્રિકેટમાં સ્થાન મેળવ્યા સુધી પરિવારની આર્થિક સ્થિતિ સંઘર્ષપૂર્ણ રહી હતી. 2024માં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ખાનચંદ સિંહને ખભા પર સિલિન્ડર ઉંચકી ડિલિવરી કરતા જોવા મળ્યા હતા. તે વીડિયોને લઈને રિંકુ સિંહે જણાવ્યું હતું કે તેમના પિતાએ ક્યારેય આરામ કર્યો નહોતો અને જીવનભર મહેનત તથા ઈમાનદારીથી કામ કર્યું હતું. તેઓની મહેનત અને સમર્પણ રિંકુ માટે પ્રેરણારૂપ રહ્યા હતા.

ખાનચંદ સિંહ લિવર કેન્સરના અંતિમ તબક્કામાં હતા અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમનું સારવાર ચાલુ હતું, પરંતુ બીમારીને કારણે તેમનું અવસાન થયું. સોશિયલ મીડિયા પર ચાહકોએ રિંકુ સિંહ અને તેમના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે.

 

Leave a comment