વિશ્વસ્તરે વધતા તણાવની વચ્ચે અમેરિકા અને ઇરાન ગુરુવારે જેનિવા ખાતે પરમાણુ મુદ્દે ત્રીજા તબક્કાની વાટાઘાટો કરવા જઈ રહ્યા છે. ઇરાની પ્રતિનિધિમંડળ જેનિવા માટે રવાના થયું છે, જ્યાં બંને પક્ષ તેહરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન બંને દેશો વચ્ચે તણાવ સતત વધતા રહેતાં આ વાટાઘાટો પર વૈશ્વિક સમુદાયનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયાનએ બુધવારે જણાવ્યું હતું કે વાટાઘાટોથી સકારાત્મક પરિણામોની શક્યતા છે. તેમના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા તેમના સર્વોચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહી છે જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય. પેજેશ્કિયાનએ કહ્યું હતું કે તેઓ વાટાઘાટો અંગે સારા પરિણામની આશા રાખે છે અને પ્રક્રિયાને શાંતિ અને સંતુલનની દૃષ્ટિએ આગળ ધપાવી રહ્યા છે.
અમેરિકા અને ઇરાન વચ્ચે આ ત્રીજો તબક્કો છે. આ મહીનાની શરૂઆતમાં પ્રથમ તબક્કો ઓમાનના મસ્કટ શહેરમાં યોજાયો હતો. બીજો તબક્કો 17 ફેબ્રુઆરીએ જેનિવામાં યોજાયો હતો. આ બેઠકોનો મુખ્ય હેતુ ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ઉદ્ભવેલા વિવાદિત મુદ્દાઓ પર સહમતિ સાધવી અને શાંતિ જાળવવી છે.

અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે જેનિવામાં અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 19 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે તેઓ ઇરાનને સમજૂતી માટે 10 થી 15 દિવસનો સમય આપી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ ન થાય તો પરિણામો સામે આવી શકે છે.
પશ્ચિમ એશિયામાં અમેરિકા દ્વારા બે વિમાનવાહક જહાજોની તહેનાતી કરવામાં આવી છે અને સૈન્ય બળોની હાજરીમાં વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલું ઇરાન પર દબાણ વધારવા અને વાટાઘાટોમાં અમેરિકાનો અભિગમ મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે.
ઇરાને અમેરિકાના દબાણના પ્રતિસાદરૂપે પોતાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે તેમનો દેશ યુદ્ધ અને શાંતિ બંને પરિસ્થિતિઓ માટે તૈયાર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને પક્ષ નિષ્પક્ષ અને સંતુલિત સમજૂતી સુધી પહોંચી શકે.
અરાઘચીએ જણાવ્યું હતું કે ઇરાન રાષ્ટ્રીય સુરક્ષા અને હિતોની રક્ષા કરતા વાટાઘાટોમાં ભાગ લેશે. તેમના અનુસાર, વાટાઘાટોનો હેતુ માત્ર સૈન્ય અથડામણ ટાળવાનો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીય અને સ્થાયી સમજૂતી હાંસલ કરવાનો પણ છે.











